પાટણના રાણી નાયકીદેવી નો ઇતિહાસ


આબુની તળેટીમાં થયેલું કસંદ્રાનું યુદ્ધ:પાટણના રાણી નાયકી દેવીએ મોહમ્મદ ઘોરીને યુદ્ધના મેદાનમાં એવો તે ઊથલાવી દીધો કે તેણે ફરી ગુજરાત તરફ જોયું પણ નહીં



  • નાયકી દેવી પાટણના રાજવી મૂળરાજ બીજાનાં માતા હતાં
  • રાજા અજયપાલના નિધન બાદ રાણીએ અણહિલવાડનું સુકાન સંભાળ્યું
  • એક વિધવા રાજ સંભાળે છે એવું સાંભળીને ઘોરીએ આક્રમણ કર્યું
  • નાયકી દેવીએ ઘોરીને આબુની તળેટીઓમાં લઇ જઇને હરાવ્યો

પાટણના રાજવી મૂળારાજ બીજાનાં માતા મહારાણી નાયકી દેવીની શૌય અને બહાદુરીની કથા ઇતિહાસના ચોપડે કટ રહી છે. ગ્રીક પૌરાણિક કથાઓના સુપ્રસિદ્ધ એમેઝોનથી લઈ રોમન બ્રિટનની રાણી બોડિસિયા સુધી, યોદ્ધા મહિલાઓએ સહસ્ત્રાબ્દી માટે વિશ્વને આકર્ષિત કર્યું છે. ભારત પાસે અદ્દભુત મહિલાઓનો પોતાનો હિસ્સો છે. લશ્કરી વ્યૂહરચનાની રૂપરેખા આપવાથી લઈને યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરવા સુધી આ નિઃશંકપણે હિંમતવાન ભારતીય મહિલાઓ ખરેખર ગણના કરવી પડે એવી શક્તિઓ હતી. રાણી લક્ષ્મીબાઈ અને કિટ્ટુર ચેનમ્મા વધુ જાણીતાં ઉદાહરણો છે. જોકે એવાં ઘણાં વધુ છે, જેમની વાર્તાઓ ભુલાઈ ગઈ છે. આવાં ભુલાઈ ગયેલાં યોદ્ધા મહિલાઓમાં નાયકી દેવી છે. ચંદેલ રાજકુમારી (બુંદેલખંડના પરમાર રાજાની પુત્રી), જે ગુજરાતની ચાલુક્ય રાણી બની અને યુદ્ધના મેદાનમાં શકિતશાળી મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો. નાયકી દેવીએ ભારતના ઇતિહાસમાં છાપ કેવી રીતે અંકિત કરી એની વાત આજે આપણે અહીં કરીશું.


ઘોરીનું લક્ષ્ય પાટણ અને સોમનાથ મંદિર હતું
વર્ષ 1173 હતું અને યુવાન ગુરિદ રાજકુમાર, મોહમ્મદ શહાબુદ્દીન ઘોરી (તેમનું શાહી બિરુદ મુઈઝુદ્દીન હતું), અફઘાનિસ્તાનમાં ગઝનવી પર વિજય મેળવ્યો હતો. મહત્ત્વાકાંક્ષી, ક્રૂર, રાક્ષસી શાસક, તેણે ભારતીય પ્રદેશના હૃદયમાં દરોડા પાડ્યા. ઘોરીના પ્રથમ આક્રમણ મુલતાન રાજ્ય પર થયું હતું. મુલતાન અને ઊંચ પર કબજો કર્યા પછી તે દક્ષિણ રાજપૂતાના અને ગુજરાતના દક્ષિણ તરફ વળ્યો. તેનું લક્ષ્ય અણહિલવાડ પાટણનું સમૃદ્ધ કિલ્લેબંધ નગર અને હંમેશાં સમૃદ્ધિથી ભરપૂર સોમનાથ મહાદેવનું મંદિર હતું.

રાજા અજયપાલના નિધન બાદ ઘોરીએ આક્રમણ કર્યું
ઇ.સ.1178માં જ્યારે ઘોરીએ અણહિલવાડ પાટણ પર હુમલો કર્યો ત્યારે પાટણ મૂળરાજ-2 (બાળ મૂળરાજ)ના શાસન હેઠળ હતું. જેણે તેના પિતા અજયપાલના નિધન બાદ બાળક તરીકે સિંહાસન સંભાળ્યું હતું. જોકે વાસ્તવમાં શાસક તેમની માતા, નાયકી દેવી હતાં. જેમણે રાણી શાસક તરીકે રાજ્યની લગામ સંભાળી હતી અને મૂળરાજના કાકા ભીમદેવ બીજા તેમને સહાય કરતા હતા.


નાયકી દેવીએ યુદ્ધની વ્યૂહરચના ઘડી
ચંદેલ વંશના પરમાદ રાજાની પુત્રી નાયકી દેવી તલવારબાજી, ઘોડેસવાર, લશ્કરી વ્યૂહરચના, મુત્સદ્દીગીરી અને રાજ્ય વહીવટના તમામ વિષયોમાં સારી રીતે પ્રશિક્ષિત હતા. ઘોરીના નિકટવર્તી હુમલાની સંભાવનાથી તેણે ચાલુક્ય દળ, સેનાની શક્તિની જાણકારી મેળવી લીધી અને આક્રમણકારી સૈન્ય સામે સુયોજિત વિરોધ ગોઠવવા વ્યવસ્થિત વ્યૂહરચના ગોઠવી હતી.

દુશ્મનને હરાવવા અન્ય રાજાઓ પાસે મદદ માગી
નાયકી દેવીએ આક્રમણને મારી હઠાવવા બીજાં રાજ્યો મદદમાં આવે એ પ્રકારના સંદેશ સાથે દૂતો મોકલ્યા હતા અને પૃથ્વીરાજ ચૌહાણ સહિતના ઘણા રાજાઓને મદદ માટે વિનંતી કરી હતી. જ્યારે આ રાજ્યોએ તેમની વિનંતી સ્વીકારી ન હતી, પરંતુ તેમને નાડોલના ચૌહાણ, જાલોર ચૌહાણ અને અર્બુદાના પરમાર જેવા ચાલુક્યના સામંતો પાસેથી સહાય મળી હતી.

    આબુની તળેટીનો વિસ્તાર યુદ્ધ માટે પસંદ કર્યો

દુશ્મન સૈનિકોના વિશાળ સૈન્યને હરાવવા માટે આ પૂરતું નથી, એ સમજીને સમજદાર નાયકી દેવીએ કાળજીપૂર્વક યુદ્ધની વ્યૂહરચનાની યોજના બનાવી હતી. તેમણે ગડાર ઘટ્ટાના કઠોર ભૂપ્રદેશને પસંદ કર્યો હતો. કાસન્દ્રા ગામ (અત્યારે સિરોહી જિલ્લામાં) નજીક આબુની તળેટીનો વિસ્તાર યુદ્ધના સ્થળ તરીકે પસંદ કર્યું હતું.

ઘાટીના સાંકડા ડુંગરાઓથી ફાયદો થયો
ગદાર ઘાટીના સાંકડા ડુંગરાઓ ઘોરીની આક્રમણકારી સેના માટે અજાણ્યા મેદાન હતા, જેને નાયકી દેવીને એક મોટો ફાયદો આપ્યો અને એક કુશળ હિલચાલમાં અવરોધોને સંતુલિત કર્યા, તેથી જ્યારે ઘોરી અને તેની સેના છેલ્લે કસન્દ્રા પહોંચ્યા ત્યારે મહાન યોદ્ધા મહારાણી નાયકી દેવી તેના પુત્ર સાથે, તેના ખોળામાં બેસાડીને યુદ્ધમાં ઊતરી, તેના સૈનિકોને ઉગ્ર પ્રતિ-આક્રમણ તરફ દોરી ગઈ.

ઘોરીના સૈન્યનો કચ્ચરઘાણ નીકળી ગયો
આબુના વિશાળ પર્વતના ખૂણેખૂણાથી નાયકી દેવી અને તેના સ્થાનિક સામંતોનું સૈન્ય વાકેફ હતું, જ્યારે ઘોરીનું સૈન્ય અજાણ હતું. એનો લાભ લઈને અનાજ વગેરેનો પુરવઠો રોખવો, સંતાઈને હુમલો કરવાની આવડત, રાજપૂતોના અપ્રતિમ શૌર્ય અને પાટણના સૈન્ય પાસે તાલીમ પામેલા હાથીઓના સૈન્યને કારણે ઘોરીના સૈન્યનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. એને પરિણામે ઘોરીના સૈનિકો ભાગવા માંડ્યા અને ઘોરી ખૂબ ખરાબ રીતે જે હાર્યો હતો અને મુશ્કેલીથી કેટલાક અંગરક્ષકો સાથે ભાગી જવામાં સફળ રહ્યો.

ઘોરીએ ફરી ક્યારેય ગુજરાત તરફ નજર ના કરી
જે યુદ્ધ થયું એ 'કસંદ્રાના યુદ્ધ' તરીકે ઓળખાય છે. એમાં વિશાળ ચાલુક્યના સૈન્યના બહાદુર સૈનિકો અને તેના યુદ્ધના હાથીઓની ટુકડીએ આક્રમણકારી દળને કચડી નાખ્યું હતું. જે ઘોરીએ એક સમયે યુદ્ધમાં મુલતાનના શકિતશાળી સુલતાનોને હરાવ્યા હતા તે ઘોરીએ ફરી ક્યારેય ગુજરાત જીતવાનો પ્રયાસ પણ નહોતો કર્યો. આ યુદ્ધમાં રાજમાતા નાયકી દેવીના પિયર પ્રસિદ્ધ મહોબાના ચંદેલ રાજા પરમારદીએ પણ લશ્કરની મદદ કરી હતી અને તેના એક સરદાર 'રાઉત પપે' આ યુદ્ધમાં શહીદ પણ થહ્યા હતા. આ યુદ્ધનો ઉલ્લેખ બુંદેલખંડના મહોબાના ઇતિહાસમાં પણ જોવા મળે છે.

હાર બાદ ઘોરી ગુજરાતનો રસ્તો ભૂલી ગયો
મોટી હારનો સામનો કરી ઘોરી મુઠ્ઠીભર અંગરક્ષકો સાથે ભાગી ગયો. તેનું ગૌરવ વિખેરાઈ ગયું અને તે પણ એક મહિલા હસ્તક હારનો સામનો કરવો પડ્યો. તેણે ફરી ક્યારેય ગુજરાત જીતવાનો પ્રયાસ કર્યો નહીં. પરદેશી આક્રમણ સામે આ બહુ મોટા અને સફળ યુદ્ધને કારણે પછીનાં 100 વર્ષો સુધી ગુજરાત પરદેશી, વિધર્મી આક્રમણખોરો સામે સલામત રહ્યું હતું અને ભગવાન સોમનાથ પરના આક્રમણને પોતાનાં બલિદાનો વડે રોક્યું હતું. આ યુદ્ધમાં હાર મળ્યા બાદ ભારત પર આક્રમણ કરવા મોહમ્મદ ઘોરી ગુજરાતનો રસ્તો જ ભૂલી ગયો હતો. તેણે બીજી વખતે ઇ.સ. 1191માં અને 1192માં પંજાબનો માર્ગ પસંદ કર્યો હતો.

નાયકી દેવીની જીતનો અનેક જગ્યાએ ઉલ્લેખ
કસંદ્રાના યુદ્ધની વાત કરીએ તો મહારાણી નાયકી દેવીએ યુદ્ધનો ચાર્જ ન લીધો હોત તો ભારતનો ઇતિહાસ ખૂબ જ અલગ હોત. નાયકી દેવીની જીત ગુજરાત રાજ્યના ઇતિહાસકારો તેમજ ચાલુક્યના શિલાલેખોમાં અનેક જગ્યા એનો ઉલ્લેખ જોવા મળે છે.

ગુજરાતી કવિ સોમેશ્વરાની કૃતિઓ ઉલ્લેખ કરે છે કે કેવી રીતે 'બાળ' મૂળરાજ (શિશુ રાજા)ની સેનાએ તુરુષ્કાસ (તુર્કિશ લોકો)ના સ્વામીને હરાવ્યો હતો અને મલેચ્છા (વિદેશી) સેનાને કચડી નાખી હતી. અન્ય એક કવિ, ઉદયપ્રભા સૂરી, તેમની સુકૃતા-કીર્તિ-કલ્લોલિનીમાં જણાવે છે કે નાયકી દેવીની સેનાએ હમીરા (અમીરનું સંસ્કૃત સ્વરૂપ) અને તેમની મલેચ્છ સેનાને હરાવી હતી. જેમના સૈનિકો પોતાને બચાવવા માટે માથાથી પગ સુધી ઢંકાયેલા હતા. ભીમદેવ બીજા (બાળ મૂળરાજના કાકા અને તેનો અનુગામી)ના શાસનનો એક ચાલુક્ય શિલાલેખ જણાવે છે કે બાળ મૂળરાજના શાસન દરમિયાન એક સ્ત્રી પણ હમીરાને હરાવી શકે છે.

વિગતવાર અહેવાલ 14મી સદીના જૈન ઇતિહાસકાર મેરુતુંગાની કૃતિઓમાં મળે છે
13મી સદીના ફારસી લેખક મિન્હાજ-એ-સિરાજે પણ તેના લખાણમાં ચાલુક્ય વિજયનો ઉલ્લેખ કર્યો છે. તેમના મતે ઘોરનો મહંમદ; ઉચ્છ અને મુલતાન થઈને નહેરવાલા (અણહિલવાડ) તરફ કૂચ કરી. 'નહરવાલાનો (અહિંલવાડ) રાય (રાજા) ખૂબ નાનો હતો, પરંતુ યુદ્ધ હાથીઓ સાથે વિશાળ સૈન્યની સાથે ભયંકર લડાઈ આપી હતી.' આ યુદ્ધમાં 'ઇસ્લામની સેનાનો પરાજય થયો અને ઘોરીને તેણે હરાવ્યો' અને આક્રમણકારી શાસકને કોઈપણ સિદ્ધિ વિના પાછા ફરવું પડ્યું. 16મી સદીના લેખક બદાઉનીએ આક્રમણકારની હારનો પણ ઉલ્લેખ કર્યો છે અને જણાવે છે કે ઘોરી ભારે મુશ્કેલીથી પોતાના વતન પાછો ફર્યો હતો. કસંદ્રાના યુદ્ધનો સૌથી વિગતવાર અહેવાલ 14મી સદીના જૈન ઇતિહાસકાર મેરુતુંગાની કૃતિઓમાં મળે છે, જે વર્ણવે છે કે કેવી રીતે નાયકી દેવી આબુના પર્વતોમાં મલેચ્છો સામે લડ્યા અને દુષ્ટ ઘોરી પર વિજય મેળવ્યો.

ભારતના ઇતિહાસની સૌથી મહાન અને બહાદુર મહિલાઓમાંનાં એક નાયકી દેવીની અતૂટ હિંમત અને અદમ્ય ભાવના ઝાંસીની સુપ્રસિદ્ધ રાણી લક્ષ્મીબાઇ, મરાઠાઓની રાણી તારાબાઇ અને કિટુરની રાણી ચેન્નમ્માની સમાન છે. તેમ છતાં ઇતિહાસનાં પુસ્તકોમાં તેમના બહાદુરીભરી અકલ્પનીય સાહસ વિશે ખૂબ થોડુંક જ લખાયું છે. હવે સમય બદલાયો છે, એટલે ઇતિહાસકારો નોંધ કરી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ