'ભૂજ' ફિલ્મમાં રણછોડદાસ પગીનું પાત્ર સંજય દત્ત ભજવી રહ્યો છે

 આઝાદીના અમૃત મહોત્સવના ટાંકણે ઈ.સ. 1971ના ભારત વિજયના ઈતિહાસને આલેખતી અજય દેવગણની ફિલ્મ 'ભૂજ: પ્રાઈડ ઓફ ઈન્ડિયા' 13 ઓગષ્ટના રોજ પ્રસ્તુત થવા જઈ રહી છે. ભારત-પાકિસ્તાનના ઈ.સ. 1965 અને 1971ના યુદ્ધમાં સેનાને મદદ કરી પાકિસ્તાન પર જીત મેળવી પાકિસ્તાનનો હિસ્સો કબ્જે કરવામાં જેનો સિંહફાળો રહ્યો હતો

તે બનાસકાંઠાના સરહદી વિસ્તાર સૂઈગામના શૂરવીર રણછોડદાસ રબારી ઉર્ફે પગીને આજે પણ લોકો યાદ કરે છે. ઈ.સ. 1971ના યુદ્ધના પ્રસંગોને આલેખિત કરતી ભૂજ: પ્રાઈડ ઓફ ઈન્ડિયા નામક હિન્દી ફિલ્મ બનતાં બનાસવાસીઓ ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે.


રણછોડ પગીએ એકવાર નહીં બે-બે વાર યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી

આપણે એક એવા વીરની વાત કરી રહ્યા છીએ, જેણે એક વાર નહીં પરંતુ બે-બે વાર આપણા દુશ્મન દેશ પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે શૂરવીર એટલે રણછોડભાઈ રબારી ઉર્ફે પગી. પગીના નામથી ઓળખાતા રણછોડ રબારીએ ભારતીય સૈન્યને અનેકવાર મદદ કરી હતી. યુદ્ધ દરમિયાન સૈન્ય પાસે દારૂગાળો ખૂટી જતાં ઉંટ પર દારૂગોળો લાવીને સૈન્યની મદદ કરી હતી.



રણછોડભાઈ પાસે 300 એકર જમીન અને 300 જેટલાં પશુઓ હતા
રણછોડભાઈનો જન્મ પાકિસ્તાનના થરપારકરમાં આવેલા પેથાપુર ગઢડો ગામે વીસમી સદીના પ્રથમ દાયકામાં પિતા સવાભાઈ અને માતા નાથીબાને ત્યાં થયો હતો. રણછોડ રબારી પાસે કુદરતી શક્તિ હતી. તેઓ અભણ હોવા છતાં પણ પગચિહ્નન ઓળખવામાં અદભૂત કૌશલ્ય ધરાવતા હતા. તેથી પગી તરીકે ઓળખાતા હતા. માત્ર પગલા પરથી જ તે વ્યક્તિ કઈ દિશામાંથી આવ્યો છે કઈ દિશામાં ગયો છે તે કેટલું વજન લઈને ચાલી રહ્યો છે અને તે ક્યાં સુધી પહોંચ્યો હશે તે પણ જાણી શકતા હતા. રણછોડભાઈ પાસે 300 એકર જમીન અને 300 જેટલાં પશુઓમાં સાંઢ, ગાય, ઘેટાં, બકરાં હતાં. તેમનો પશુપાલનનો વ્યવસાય હતો.

રણછોડ પગીએ પાકિસ્તાનથી વાવના રાધાનેસડા ગામે આવીને વસવાટ કર્યો
ઈ.સ.1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે તેઓ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેવા લાગ્યા હતા, પરંતુ પાકિસ્તાનના લોકોની હેરાનગતિના કારણે એક દિવસ તેઓ ત્રણ પાકિસ્તાની પોલીસકર્મીઓને બાંધીને કોઠીમાં નાખીને પોતાના પરિવાર અને પશુઓ સાથે હિન્દુસ્તાનના બનાસકાંઠાના રાધાનેસડા ખાતે આવી ગયા. ત્યારબાદ મોસાળ લીંબાળામાં વસવાટ કરવા લાગ્યા.


ઈ.સ. 1962માં પોલીસ વિભાગમાં પગી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી
તેમણે ગામમાં ચોકીદાર તરીકેની નોકરી શરૂ કરી હતી. તે સમયે તેમની પાસે અદભૂત પગચિહ્ન ઓળખવાની કળા હોવાથી અહીં તેમણે અનેક ચોરીઓનો ભેદ ઉકેલી દીધો. જેથી ઈ.સ. 1962માં પોલીસ વિભાગમાં પગી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. તેમની આ કલાની ખબર ભારતીય સૈન્ય પણ પડી તે સમયે ઈ.સ 1965ના યુદ્ધમાં પણ વિઘાકોટ સુધી પાકિસ્તાની સૈન્ય આવી જતા રણમાં ભૂલા પડેલા સૈન્યને રણછોડ પગીએ ખૂબ જ મદદ કરી અને ત્યાં પણ પાકિસ્તાની સૈન્યમાં કેટલા લોકો છે, ક્યાં છુપાયેલા છે, તે તમામ માહિતી આપતા હતા


.

પાકિસ્તાનમાં ત્રણ પોલીસકર્મીઓને મારીને કોઠીમાં પૂરીને આવ્યા બાદ પાકિસ્તાને ઇનામ જાહેર કર્યું
ઈ.સ. 1971ના યુદ્ધ દરમિયાન ભારતીય સૈન્યને ઉંટ દ્વારા સમયસર દારૂગોળો પહોંચાડતાં ભારતીય જવાનોએ ધોરા અને ભાલવાના થાણાં કબ્જે કર્યાં હતાં. આખરે, 16મી ડીસેમ્બર, 1971ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન ઉપર વિજય મેળવ્યો હતો. પાકિસ્તાનમાં ત્રણ પોલીસકર્મીઓને મારીને કોઠીમાં પૂરીને આવ્યા બાદ વારંવાર પાકિસ્તાનને ધૂળ ચટાડવાના માહિર રણછોડ રબારી પર પાકિસ્તાનમાં માથા માટે રૂ. પચાસ હજારના ઈનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. આમ, સૂઈગામ પોલીસ સ્ટેશનને ખબરી, પગેરાં પારખું, રણનો ભોમીયો, પગલે પગલે ચોર ઘુંસણખોરો સુધી પહોંચાડનાર અને સરહદ ઉપર અને સરહદ પાર પાકિસ્તાનીઓની હિલચાલનો ખબરી આપનારો જાંબાજ રણછોડ રબારી મળી ગયા હતા.



ઈ.સ. 1962માં ડી.વાય.એસ.પી. વનરાજ ઝાલાએ રણછોડ પગીની મદદ લીધી હતી
રણછોડ પગીના પૌત્ર વિષ્ણુ રબારીએ જણાવ્યું હતું કે, દાદા રણછોડભાઇ સવાભાઇ રબારીની માણસ, પશુ પક્ષીઓનાં પગલાં ઓળખવાની કોઠાસૂઝને કારણે પોલીસ પણ અવારનવાર મદદ લેતી હતી. ઈ.સ. 1962માં ડી.વાય.એસ.પી. વનરાજ ઝાલા સાહેબે પાકિસ્તાનના એક અંગત કામમાં રણછોડભાઈની મદદ લીધી હતી. તેજ સમયે પોલીસમાં રણવિસ્તારના બનાવોના ભેદ ઉકેલવા માટે પગીની ખૂબ આવશ્યકતા ઉભી થતાં કાયમી ધોરણે ઇ.સ.1962માં પગી તરીકે સુઇગામ થાણામાં નિમણૂક આપવામાં આવી હતી.

રણછોડ પગીએ ઇ.સ. 1965માં ભારતીય સૈન્યને વિઘાકોટ પહોંચાડ્યું
ઇ.સ. 1965માં ભારત-પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે ભારતની બધી ટુકડીઓએ સૂઇગામમાં આવીને રોકાણ કર્યું હતું. ભારતીય સૈન્યને નજીકના નજીક રસ્તે વિઘાકોટ જવાનું હતું. વિઘાકોટને પાકિસ્તાને કબ્જે કરી લીધું હતું અને પાકિસ્તાન સૈન્ય આગળ વધી રહ્યું હતું. ભારતીય સૈન્ય ત્યાં પહોંચવા માંગતું હતું. રણવિસ્તાર હોવાથી રસ્તો કે દિશાની કશું ખબર પડે તેમ ન હતી ત્યારે તેમને માર્ગદર્શનની જરૂર હતી, ત્યારે ચંદ્રને હોકાયંત્ર બનાવીને તેના આધારે રણમાં ફરનારા રણછોડભાઈએ આગળ ચાલી અને આ કાફલાને નજીકમાં નજીક ઓછામાં ઓછા સમયમાં કોઈપણ તકલીફ વગર વિઘાકોટ સમયસર પહોંચાડ્યું હતું. રણના માર્ગોથી પરિચિત રણછોડભાઈએ યુદ્ધ સમયે વિઘાકોટમાં છુપાયેલા પાકિસ્તાનના ૧૨૦૦ સૈનિકોની જાણકારી ભારતીય સેનાને પહોંચાડી હતી.


પગીએ ઈ.સ. 1971ના યુદ્ધમાં બોરિયાબેટથી ઊંટ ઉપર પાકિસ્તાનમાં જઇ ધોરા વિસ્તારમાં છૂપાયેલા પાકિસ્તાનના સૈન્યની માહિતી ભારતીય સૈન્યને પહોંચાડી હતી
ઈ.સ. 1971ના યુદ્ધમાં રણછોડભાઈ પગીએ બોરિયાબેટથી ઊંટ ઉપર પાકિસ્તાનમાં જઇ ત્યાં આવેલા ધોરા વિસ્તારમાં છૂપાયેલા પાકિસ્તાનના સૈન્યની માહિતી ભારતીય સૈન્યને પહોંચાડી હતી. જેથી ભારતીય સૈનિકોએ ધોરા ઉપર કૂચ કરી આક્રમણ કરી દીધુ. આ સમયે કરાયેલા હુમલામાં બોમ્બમારો ચાલુ હતો, ત્યારે ભારતીય સૈન્ય પાસે દારૂગોળો ખૂટી ગયો હતો. જેથી ભારતીય સૈન્યની 50 કિ.મી. દૂરની બીજી છાવણીમાંથી રણછોડ પગીએ ઊંટ ઉપર દારૂગોળાનો જથ્થો લાવીને સૈન્યને પહોંચાડ્યો હતો. રણછોડભાઈએ સમયસર દારુગોળો પહોંચાડતાં ભારતીય હવાઇદળના ફાઇટર વિમાનોએ ધોરા અને ભાલવાના થાણા કબજે કરી લીધા હતા. જોકે, રણછોડભાઈ રબારી સમયસર ઊંટ ઉપર દારૂગોળો પહોંચાડવા જતાં પોતે ઘવાયા હતા. ભારત-પાકિસ્તાનના બંને યુદ્ધોમાં ભારતીય ભૂમી સેનાને ભોમિયા તરીકે મદદ કરી હતી.

રણછોડ પગીની યશસ્વી કામગીરીની કદર કરીને ભારતીય સૈન્ય દ્વારા ત્રણ મેડલ એનાયત કરવામાં આવ્યા
રણછોડભાઈની 31 વર્ષ 2 માસ અને 26 દિવસ સુધીની યશસ્વી કામગીરીની કદર કરીને ભારતીય સૈન્ય દ્વારા ત્રણ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં (1) સંગ્રામ સેવા મેડલ (2) પોલીસ મેડલ ફોર મેરીટોરીયમ સર્વિસ ઇન્ડિયન પોલીસ મેડલ અને (3) સમર સેવા સ્ટાર મેડલ-1965. આ સિવાય, બી.એસ.એફ. દ્વારા 990 નંબરના પિલ્લર ઉપર રણછોડ દાસ બી.ઓ.પી. કરીને આખી પોસ્ટ ઉભી કરવામાં આવી છે, ત્યાં તેમનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે.

રણછોડ પગી 2013માં અનંતની યાત્રાએ જતાં તેમની બે અંતિમ ઈચ્છા પૂર્ણ કરવામાં આવી
રણછોડભાઈ રબારીનું દેહાવસાન તા. 18મી જાન્યુઆરી 2013ના રોજ થયું હતું. તેમનુ બે અંતિમ ઈચ્છા પૂર્ણ કરવામાં આવી હતી. તેમની ઈચ્છા હતી કે, તેમના શબના માથા પર પાઘડી રાખવામાં આવે અને અગ્નિદાહ ખેતરમાં જ આપવામાં આવે. તેમની બંને ઈચ્છાઓ પ્રમાણે ગાર્ડ ઓફ ઓનર આપીને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

ઇતિહાસકારના મુખે સરહદી સૂઈગામના શૂરવીરની યશગાથા
આ અંગે યુવા ઇતિહાસકાર પ્રોફે. પ્રકાશ સુથારે દિવ્ય ભાસ્કરની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઈતિહાસની આરસીમાં નજર નાખતાં જણાય છે કે, ત્રીજી ડીસેમ્બર 1971ના રોજ પાકિસ્તાને ભારતનાં અલગ અલગ શહેરો ઉપર હવાઈ હુમલાઓ કરતાં ભારત-પાકિસ્તાન યુદ્ધની શરૂઆત થયેલી અને 16મી ડીસેમ્બરના રોજ ભારતનો વિજય થતાં માત્ર 13 દિવસ ચાલેલા યુદ્ધ સાથે અનેક શૂરવીર રત્નોની યશગાથાઓ જોડાયેલી છે. ઈ.સ. 1965 અને 1971ના એમ બંને યુદ્ધોમાં મહત્વની ભૂમિકા ભજવનાર સરહદી સૂઈગામના શૂરવીર અને બનાસરત્ન રણછોડભાઈ પગીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.


રણછોડભાઈ રબારીના પૌત્ર વિષ્ણુભાઈ રબારીએ જણાવ્યું હતુ કે, રણછોડભાઈ રબારી એટલે કે મારા દાદામાં માણસ, પશુ-પક્ષીઓનાં પગલાં ઓળખવાની કોઠાસૂઝ હતી. તેથી પોલીસ પણ અવારનવાર મદદ લેતી હતી. તેમની પાસેથી દેશસેવાની પ્રેરણા લઈને મેં પણ દેશની સેવા કરવાનું નક્કી કર્યું હતુ. હાલમાં માવસરી પોલીસ સ્ટેશનમાં પગી તરીકેની ફરજમાં છું.




સાભાર : www.divyabhaskar.co.in



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ