વાળીનાથ મંદિરનો ઇતિહાસ | Valinath Mandir No Itihas

 

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામમાં 900 વર્ષ પૂર્વે વિરમગીરીજી મહારાજે સ્થાપેલી રબારી સમાજના ગુરૂગાદી શ્રી વાળીનાથજી મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે. આ શિવધામનું વર્ષ 2011માં બળદેવગીરીજી મહારાજના હસ્તે ભૂમપિૂજન કરવામાં આવ્યું હતું. આગામી 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન વાળીનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ચારેય પીઠના શંકરાચાર્ય ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ મહંત વિરમગીરી મહારાજે આ જગ્યાની પાવનભુમિમાં રબારી સમાજોની ગુરૂગાદીની સ્થાપના કરી હતી અને રબારી સમાજના લોકો ગુરૂગાદી અને તેના આચાર્યને ભગવાનની જેમ પૂજે છે.


આ મંદિર માટે અગાઉ રથયાત્રા પણ અલગ-અલગ જગ્યાએ ફરી હતી, જ્યાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. તમામ લોકોને રથને આવકારી સ્વાગત કર્યું હતું. રથયાત્રાને લઈને અનેક લોકોએ સારું એવું દાન પણ કર્યું છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન 1100 હવન થવાના છે અને 15 હજાર યજમાન બેસવાના છે. અત્યારથી હવન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જે ખાસ પ્રકારની કચ્છની માટીના લીંપણથી તૈયાર કરવામાં આવ્યા છે. આ મહોત્સવમાં ઉત્તર ગુજરાતના તમામ લોકો ભાગ લેશે. આ મહોત્સવમાં 1 લાખ કરતાં વધુ સ્વયં સેવકોએ સેવા આપવા માટે યાદી મોકલાવી છે. રોજ 2 લાખથી લોકો મુલાકાત લેશે, જેથી 2 લાખ લોકોના રોજના જમવા માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત હજારોની સંખ્યામાં વાહનો આવવાના હોવાથી પાર્કિંગ માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવશે.


900 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયા હતા વાળીનાથ મહાદેવ

વાળીનાથ મંદિરના ઈતિહાસ અને પરંપરા વિશે વાતચીતમાં મંદિરના મહંત જયરામગીરીએ જણાવ્યું હતું કે, વાળીનાથ મંદિર એટલે મહાદેવનું સ્વરૂપ. મૂર્તિ સ્વરૂપે અહીં વાળીનાથ ભગવાન બિરાજમાન છે. તેનો ઈતિહાસ લગભગ 900 વર્ષ પૂર્વે જમીનમાંથી વાળીનાથ ભગવાનની મૂર્તિ, ગણેશજીની મૂર્તિ, મા ચામુડાંની મૂર્તિ સ્વયંભૂ નીકળી હતી. ત્યારે અધ્યક્ષ સ્થાપક આપણા પરમ પૂજ્ય વિરમગીરીજી મહારાજ દ્વારા આ વાળીનાથ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારથી લઈને આજ સુધી વાળીનાથ મંદિરનો ઈતિહાસ એવો રહ્યો છે કે, જ્યારે પૂજ્ય બાપુ ગાદી પર બિરાજમાન થયા ત્યારે એક ઘોડી અને એક ગાયનું દાન આપવામાં આવ્યું હતું. જેનો વંશવેલો હજુ પણ મંદિરમાં ચાલી રહ્યો છે. હાલ વાળીનાથ ધામમાં કાંકરેજ નસલની 900 ઉત્તમ ગાયો પણ રાખવામાં છે. તેમજ રેમેનસલની પણ 12 જેટલી ઘોડીઓ અહીં છે.


અન્નક્ષેત્ર પણ ચાલી રહ્યું છે

'આજે પરંપરાના નિર્વહન માટે માટે બાપુનો આદેશ હતો કે, આ ગાયો અને ઘોડીઓનું જ્યાં સુધી પાલન થશે, ત્યાં સુધી આ સંસ્થા ચાલતી રહેશે. વર્તમાનમાં આ સંસ્થા ચાલી રહી છે અને અહીં અન્નક્ષેત્ર પણ ચાલુ છે. હવે મંદિરના ઉત્થાનનો સમય આવ્યો એ મારા પૂજ્ય ગુરૂજી, પૂજ્ય મહંત બણદેવગીરીજી, જેઓ 12 વર્ષેની વયે ગાદીએ વિરાજમાન થયા અને 28 વર્ષ સુધી ગાદી પર શોભાયયમાન થઈને સમાજ ઉત્થાન, શિક્ષણ અને ધર્મના કાર્યો કર્યા હતા. ઉત્તર ગુજરાતના આખા વિસ્તારમાં ગમે તે ગામમાં જઈને પૂછશો તો કહેશે કે, ધાર્મિક કાર્યોની પ્રતિષ્ઠા બાપુના હાથે થયેલી છે. બાપુએ જ ગામે ગામ તોરણ બાંધ્યા છે અને અનેક ધાર્મિક પ્રસંગો કર્યા છે. પૂજ્ય બાપુ સમગ્ર વિસ્તારમાં દેવ સ્વરૂપે પૂજનીય થઈ ગયા છે.'


બળદેવગીરી બ્રહ્મલીન થયા ત્યારે પીએમએ વ્યક્ત કર્યો હતો શોક

'પૂજ્ય બાપુ બ્રહ્મલીન થયા ત્યારે દિલ્હીથી વડાપ્રધાન દ્વારા ફોન પર વાતચીત થયેલી અને તેઓએ ફોન પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ ટાઈમે કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો હતો તો પણ ખૂબ સારી રીતે વ્યવસ્થા હાલની સરકાર દ્વારા કરવામાં આવી હતી. 1600 ભંડારાના કાર્યક્રમમાં સ્વયં સેવકોએ પણ સારૂ કામ કર્યું હતું અને પ્રસંગ સારી રીતે ઉજવાયો હતો.'


45000 સ્કવેર ફૂટમાં નિર્માણ પામ્યું છે મંદિર

મંદિરના જીર્ણોદ્ધારના વિચાર અંગે કહ્યું કે, પૂજ્ય ગુરૂદેવને આજથી પંદરેક વર્ષ પૂર્વે વિચાર આવ્યો હતો કે, આપણે ધર્મ અને આસ્થાનું કેન્દ્ર બનાવીએ જેથી લોકોની આસ્થા પણ જણવાઈ રહે. એ સમયે બાપુનું એક સ્વપ્ન આવ્યું કે, આપણે એક ખૂબ સરસ શિવધામ બનાવીએ. શિવલિંગ સ્વરૂપે આપણે વાળીનાથ ભગવાનનું સ્થાપન કરીએ. એમના વિચારને સેવકોએ સમક્ષ રજૂ કર્યો અને સેવકોએ હા પાડીને કહ્યું હતું કે, બાપુનો વિચાર ખૂબ સારો છે, આપણે મંદિર બનાવીએ. પૂજ્ય બાપુનો આ સાથે એક વિચાર એ હતો કે, ગુજરાતમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સોમનાથ બિરાજમાન છે અને તેની મર્યાદા જણવાઈ રહે તે પ્રકારે તેના શિખરની જે ઊંચાઈ છે, તેનાથી થોડી નીચી ઊંચાઈ હોવી જોઈએ. જેને ધ્યાનમાં રાખીને અહીં સુંદર શિવધામ બનાવ્યું છે. આ મંદિર લગભગ 45,000 ચોરસ ફૂટમાં બનેલું છે. વર્તમાનમાં ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં જોવા જઈએ તો સોમનાથ પછી આ બીજા નંબરનું મોટું મંદિર છે.


20 હજાર સ્કવેર ફૂટમાં બનાવ્યું ભોજનાલય

આ મંદિરમાં બંસી પહાડપુર પથ્થરમાંથી દિવ્ય શોભાયમાન મંદિર બનાવ્યું છે. અયોધ્યાના રામ મંદિરમાં જે પથ્થર વપરાયો છે, તે જ પથ્થર આ મંદિરના બાંધકામમાં વપરાયો છે. આખા ઉત્તર ગુજરાતમાં આથી મોટું કોઈ શિવધામ નથી. સાથે સાથે પૂજ્યબાપુએ આજથી 62 વર્ષ પૂર્વે શિક્ષણના કાર્યો કરેલા છે, જેવા કે ગરીબ બાળકોને પુસ્તક વિતરણ કરવાના અને સત્ર પુરુ થાય એટલે તે પુસ્તક પરત આપી જવાના. આ પરંપરા પૂજ્ય બાપુએ 62 વર્ષ પહેલા દરેક સેવાગણ માટે શરૂ કરૂ હતી અને આજે પણ આ પરંપરા અવીરત છે. વર્તમાનમાં અહીં ભવ્ય ગુરૂકુળ બની રહ્યું છે. સેવકો માટે ઉત્તમ પ્રકારની વ્યવસ્થા મળી રહે તેના માટે ભક્તિ નિવાસ, અતિથિ ગૃહ પણ મોટા પ્રમાણમાં બનાવેલા છે. રોજનું અહીં જે અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે, તેના માટે 20 હજાર ચોરસ ફૂટ ભોજનાલય પણ અહીં નિર્માણ પામી ચૂક્યુ છે.

1.45 લાખ ઘનફૂટ પથ્થરનો ઉપયોગ કર્યો

મંદિરનો 2011માં શિલાન્યાસ કર્યો હતો અને તેનું કાર્ય અવિરત ચાલી રહ્યું હતું. 1 લાખ 45 હજાર ઘનફૂટ પથ્થરોમાંથી આ મંદિર બન્યું છે. મંદિર બનાવવા માટે અનેક વિચારો આવ્યા હતા કે આપણે અંબાજીનો પથ્થરો વાપરીએ, મકરાણાના પથ્થર વાપરીએ પણ અમારા ભગવા કલરથી મેચ થતા બંસી પહાડપુર પથ્થરની પસંદગી કરી હતી. આપણા કાર્યક્રમની વાત કરીએ તો 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી 7 દિવસનો કાર્યક્રમ છે. આ ભવ્ય કાર્યક્રમ માટે ચારેય શંકરાચાર્ય સાથે દેશભરના મોટા સંતો- મહંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.


રાયસણમાં હોસ્ટેલ બનાવી અને 200 છોકરાને સરકારી નોકરી મળી

વાળીનાથ મહાદેવ મંદિરના મહંત જયરામગીરી બાપુએ વાતચીતમાં જણાવ્યું કે, શિવગામ શ્રીવાડીનાથ અખાડા અમારું ગુરૂ સ્થાન છે. મારા ગુરૂનું નામ ગોવિંદગીરી બાપુ છે. જ્યારે મેં જયરામગીરી બાપુની સાથે અભ્યાસ કર્યો હતો અને હાલ વાળીનાથ સંસ્થા સાથે કામ કરી રહ્યા છીએ. ઇતિહાસમાં જોવા જઇએ તો લગભગ 60 વર્ષ પહેલાથી આ સંસ્થા સમાજ માટે શિક્ષણ માટે કામ કરી રહી છે. જ્યારે બલદેવગીરી બાપુએ 60 વર્ષ પહેલાં અહીં પુસ્તક પરબની શરૂઆત કરી હતી. ત્યારથી લઇને એના પછી ગાંધીનગરમાં દીકરીઓ માટે ખૂબ સારી હોસ્ટેલ ઉભી કરી. અહીં ગામમાં જે સરકારી સ્કૂલ માટે જગ્યા હતી ત્યાં સ્કૂલ ઉભી કરી અને સંસ્થા પણ ઉભી કરી દીધી. આ સંસ્થાના ચરણગીરી બાપુએ ખુબ મોટા સેવક સમાજ અને શિક્ષણ માટે ખૂબ સારા કામ કર્યા હતા. 14માં મહંત તરીકે જયરામગીરી બાપુએ પણ એ જ પરંપરાને આગળ વધારી. જયરામગીરી બાપુએ લગભગ બે વર્ષ પહેલાં રાયસણ ગાંધીનગરમાં એક સંસ્થાની શરૂઆત કરી. લિંબોજ માતાના મંદિરના સહયોગથી એક હોસ્ટેલ ઉભી કરી. જેમાંથી ગરીબ વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરી શકે. ત્યાં જમવાની રહેવાની વ્યવસ્થા સાથે. તેનું એવું સારું પરિણામ મળ્યું કે બે વર્ષમાં 200 છોકરા સરકારી નોકરીમાં લાગી ગયા. આપણા વાળીનાથ મંદિરની અંદર પણ એક મોટી બિલ્ડિંગ આપણે ગુરૂકુળ માટે ઉભી કરવા જઈ રહ્યા છીએ.

'જેણે આ શિવલિંગના દર્શન કર્યા તેને બારેબાર જ્યોતિર્લિંગના દર્શનનું ફળ મળી ગયું'

'આ પ્રતિષ્ઠામાં સૌથી અદ્દભૂત વાત જે થઈ તે રથયાત્રા છે. યુવા સંત તરીકે બાપુની એક ભાવના એવી હતી કે, નર્મદા નદીમાંથી શિવલિંગ લાવવુ. આખા ગુજરાતની અંદર જે પણ સનાતન ધર્મ પ્રેમી, શિવભક્ત લોકો હોય તે શિવલિંગના ઘરે બેઠા દર્શન કરી શકે. ઘરે બેઠા લોકોને શિવ ભગવાનના દર્શન થાય અને પરંપરા સાથે જોડાય. તેના પછી બાપુને એવો પણ વિચાર આવ્યો કે, ગુજરાતની યાત્રા પહેલા આખા ભારતવર્ષની યાત્રા જે દ્વાદશ જ્યોતિર્લિંગ કહી આપણે. બહુ ઓછા લોકો હોય છે જે દ્વાદશ જ્યોતિર્લિંગની યાત્રા પૂરી કરતા હોય છે. બાપુને ભાવ એવો આવ્યો કે, આ જે શિવલિંગ છે આપણું અને આખા ભારતવર્ષમાં જે દ્વાદશ જ્યોતિર્લિંગ (ચારધામ) આ શિવાય પશુપતિનાથ નેપાળ લઇ જઈએ અને તેનું પુજન કરાવીએ. તો એક સનાતન ધર્મના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એવી ઘટના ઘટી કે આપણે એવું કહી શકીએ કે, આ શિવલિંગના દર્શન જે આપણે કરાવ્યા આખા ગુજરાતમાં ફરીને અને જેણે આ શિવલિંગના દર્શન કર્યા તેને બારેબાર જ્યોતિર્લિંગના દર્શન કર્યાનું ફળ મળી ગયું. ગુજરાતના જે પણ શહેરમાં ગયા અમે ત્યાં આ શિવલિંગનું ખૂબ જ સારું સ્વાગત કર્યું.'

સૌજન્ય : દિવ્ય ભાસ્કર 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ